દક્ષિણ ભારતમાં ભાજપને સૌથી મોટો ઝટકો: કે. અન્નામલાઈ છોડશે પક્ષ! 5 જૂને પ્રેસ કોન્ફરન્સ કરીને કરી શકે છે સત્તાવાર જાહેરાત
Paras Joshi
Author
દક્ષિણ ભારતમાં પોતાના પગપેસારો મજબૂત કરવાના પ્રયાસોમાં જોતરાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ને તમિલનાડુમાંથી બહુ મોટો રાજકીય આંચકો લાગવાના સંકેતો મળી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપનો આક્રમક ચહેરો ગણાતા પૂર્વ આઈપીએસ અધિકારી અને પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ હવે ભાજપને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું છે. મળતી માહિતી મુજબ, કે. અન્નામલાઈ આગામી 5 જૂનના રોજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ જાહેરાત કરવા માટે તેઓ તમિલનાડુમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ યોજે તેવી પૂરેપૂરી સંભાવના છે.
પીએમ મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં યોજાઈ હતી બેઠક
આ મોટા રાજકીય ઘટનાક્રમ પહેલાં, તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે અન્નામલાઈને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ત્યારબાદ, 2 જૂનના રોજ અન્નામલાઈએ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ મુલાકાતો પૂરી થયા બાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક અલગ વન-ટુ-વન બેઠક પણ યોજી હતી. ભાજપના આ તમામ શીર્ષ નેતાઓ સાથેની બેઠકમાં અન્નામલાઈએ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પક્ષ છોડવાની પોતાની ઈચ્છા સત્તાવાર રીતે વ્યક્ત કરી દીધી હતી.
પક્ષ છોડવા છતાં સાથે કામ કરવાનો ભરોસો, હજુ પણ મનાવવાના પ્રયાસો ચાલુ
બેઠક દરમિયાન અન્નામલાઈએ પક્ષના ટોચના નેતૃત્વને એવો દ્રઢ ભરોસો પણ આપ્યો હતો કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ હંમેશા દેશહિતમાં સાથે મળીને કામ કરવા તૈયાર રહેશે. આ મહત્વની બેઠકો પૂરી કરીને અન્નામલાઈ ચેન્નાઈ (તમિલનાડુ) પરત ફરવા માટે ફ્લાઈટ પકડવા એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યા હતા, પરંતુ તે જ સમયે ભાજપ હાઈકમાન્ડે તેમને અચાનક પરત બોલાવી લીધા હતા. ભાજપના અગ્રણી નેતાઓએ અન્નામલાઈને પક્ષ ન છોડવા માટે અને પોતાનો નિર્ણય બદલવા માટે કલાકો સુધી મનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
જો કે, અન્નામલાઈ પોતાના નિર્ણય પર મક્કમ હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસ અધિકારીની નોકરી છોડીને રાજકારણમાં આવેલા કે. અન્નામલાઈએ તમિલનાડુમાં ભાજપને એક નવી ઓળખ અપાવી હતી, તેથી જો તેઓ 5 જૂને પક્ષ છોડશે તો તે તમિલનાડુમાં પક્ષના સંગઠન માટે એક અપૂરતી ખોટ સાબિત થશે.