Home National
August 21, 2026

PM મોદીને શ્રીરામનો અવતાર ગણાવી દિલ્હીમાં વગાડાઈ 'મોદી ચાલિસા'

Paras Joshi

Author

Post Image

દિલ્હીમાં ગુરુવારે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ગણાવી તેમની પૂજા કરવામાં આવી હતી અને તેમના પર બનાવવામાં આવેલી 'ભગવાન નરેન્દ્ર મોદી ચાલિસા' નો પાઠ કરવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ કાર્યક્રમમાં બિહાર સરકારના કિન્નર કલ્યાણ બોર્ડના વાઇસ ચેરમેન ડૉ. રાજન સિંહ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. રાજન સિંહ એ જ વ્યક્તિ છે જેમણે તાજેતરમાં પટનામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના હોલમાં 'નમઃ ભારત' નામના સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ પર ભગવાન શ્રીરામની તસવીર પર વડાપ્રધાન મોદીનો ચેહરો સુપરઇમ્પોઝ કરીને બનાવેલી ફોટો મૂકવામાં આવી હતી અને પૂરા ભક્તિભાવ સાથે ચાલિસાનું પઠન કરાયું હતું. જોકે, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ આ આયોજનથી પોતાને અળગું કરી લીધું છે અને જણાવ્યું છે કે હોલમાં ચાલી રહેલા આ ચોક્કસ કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણકારી નહોતી.

 

 

PM મોદીને શ્રીરામના અવતાર ગણાવ્યા

બિહાર કિન્નર કલ્યાણ બોર્ડના વાઇસ ચેરમેન ડૉ. રાજન સિંહે અગાઉ વડાપ્રધાન મોદીને ભગવાન શ્રીરામના અવતાર ગણાવીને બંનેને એકસમાન ગણાવ્યા હતા. મંદિર નિર્માણના કારણ અંગે તેમણે જણાવ્યું હતું કે, "આઝાદી પછી દેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને જે મોટો અધિકાર મળ્યો છે તે PM મોદીના કારણે મળ્યો છે. વર્ષ 2019 માં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ પસાર થવાને કારણે આજે બિહારમાં કિન્નર સમુદાયના લોકો સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે."

5 એકર જમીન પર 112 કરોડના ખર્ચે બનશે મંદિર

રાજન સિંહે અગાઉ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બિહાર રાજ્ય કિન્નર સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા 29 July ના રોજ પટનામાં યોજાયેલી બેઠકમાં PM મોદીને સમર્પિત મંદિર નિર્માણનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ મંદિર અંદાજે 112 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે, જેના માટે 5 એકર જમીનની જરૂર પડશે. જમીનની ફાળવણી માટેનો પ્રસ્તાવ બિહાર સરકારના મંત્રીમંડળ સચિવાલયને મોકલી દેવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે જમીન સંપાદન પૂર્ણ થતાં જ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. જો મંદિર નિર્માણમાં નાણાંની કમી પડશે તો કિન્નર સમાજ પોતાના સોના-ચાંદીના દાગીના દાન કરશે. આ મંદિરના શિલન્યાસ કાર્યક્રમ માટે બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને આમંત્રિત કરવાનું આયોજન કરાયું છે.