ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એમ્બેસીની મોટી એડવાઈઝરી, તાત્કાલિક દેશ છોડવા અપીલ
Paras Joshi
Author
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર શરૂ થયેલા ભીષણ સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે. ક્ષેત્રમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ભારત સરકારે ત્યાં વસતા અને મુસાફરી કરનારા પોતાના નાગરિકોની સુરક્ષા માટે હાઈ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે અત્યંત કડક શબ્દોમાં નવી ગાઈડલાઈન જારી કરી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતીય નાગરિકો હાલના તબક્કે ઈરાનની યાત્રા બિલકુલ ન કરે અને જે લોકો ઓલરેડી ત્યાં હાજર છે, તેઓ ઉપલબ્ધ પરિવહનના સાધનોનો ઉપયોગ કરીને તાત્કાલિક ઈરાન દેશ છોડી દે. દૂતાવાસની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલા, એરસ્ટ્રાઈક અને જવાબી સૈન્ય કાર્યવાહી સતત વધી રહી છે.
યુદ્ધવિરામ તૂટ્યો: છેલ્લા ૨૪ કલાકમાં ભયાનક તબાહી
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સોમવારે ફરી એકવાર ભારે તણાવની સ્થિતિ જોવા મળી હતી. બંને દેશોએ એકબીજાના સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ઘાતક હુમલા કર્યા હતા, જેના કારણે અગાઉ થયેલો યુદ્ધવિરામ હવે સત્તાવાર રીતે તૂટી ગયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં બંને દેશોના અનેક પ્રમુખ શહેરોમાં હુમલાના સાયરન ગૂંજ્યા છે. વ્યૂહાત્મક સ્થાનોને નિશાન બનાવીને સેંકડો મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં ઉમેર્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને જોખમી છે, જેથી નાગરિકોએ પોતાની સુરક્ષા બાબતે સહેજ પણ બેદરકાર ન રહેવું.
અચાનક સ્થિતિ બગડવા પાછળના મુખ્ય કારણો
પશ્ચિમ એશિયાનું શાંત વાતાવરણ અચાનક યુદ્ધમાં ફેરવાઈ જવા પાછળ આ ઘટનાક્રમ મુખ્યત્વે જવાબદાર છે:
રવિવારે ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂતના દક્ષિણ વિસ્તારોમાં ભીષણ એરસ્ટ્રાઈક (હવાઈ હુમલા) કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ હુમલાના જવાબમાં ઈરાને તે જ રાત્રે ઈઝરાયેલ તરફ એકસાથે અનેક મિસાઈલો દાગીને વળતો પ્રહાર કર્યો હતો.
સોમવારે સવારથી જ બંને તરફથી હુમલા અને જવાબી હુમલાની શ્રેણીબદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે.
આ દરમિયાન ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ લાલ સાગર (રેડ સી) માંથી પસાર થતા ઈઝરાયેલી જહાજોને રોકવાની અને તેના પર હુમલા કરવાની ખુલ્લી જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે લાલ સાગર એ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે.