Home Gujarat
August 20, 2026

મુસાફરોને મોટી ભેટ: 20 ઓગસ્ટથી શરૂ થશે ભાવનગર-ગાંધીનગર ડાયરેક્ટ AC બસ સેવા

Paras Joshi

Author

Post Image

ગુજરાત સરકાર અને એસ.ટી. નિગમ દ્વારા ભાવનગર અને રાજધાની ગાંધીનગર વચ્ચે અવારનવાર મુસાફરી કરતા નાગરિકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. 20 ઓગસ્ટથી ભાવનગરથી ગાંધીનગર વચ્ચે દૈનિક સીધી એસી (AC) બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની સફળ રજૂઆત અને પ્રયાસોના પરિણામે આ નવી સુવિધાનો પ્રારંભ થઈ રહ્યો છે.

બસનું સમયપત્રક અને મુસાફરીનો સમય

આ સીધી AC બસ સેવા શરૂ થવાથી મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે:

ભાવનગરથી પ્રસ્થાન: સવારે 6:30 કલાકે

ગાંધીનગરથી પરત: સાંજે 6:15 કલાકે

મુસાફરીનો સમય: આશરે 3 કલાક અને 45 મિનિટ

વધુમાં વધુ મુસાફરો આ સેવાનો લાભ લઈ શકે તે માટે બસના મુખ્ય પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. ભાવનગરથી ઉપડીને આ બસ નીચે મુજબના સ્થળોએ ઊભી રહેશે:

ભાવનગર પ્રેસ

નારી ચોકડી

ધોલેરા એક્સપ્રેસ હાઈવે ચોકડી

સરખેજ

ઈસ્કોન

હાઈકોર્ટ

અડાલજ ચોકડી

સરગાસણ ચોકડી

ગાંધીનગર બસ સ્ટેશન (અંતિમ સ્ટોપ)

મુસાફરો અને વિદ્યાર્થીઓને થતા મુખ્ય ફાયદા

એક જ દિવસમાં અપ-ડાઉન શક્ય: ગાંધીનગર ખાતે સરકારી કામકાજ, નોકરી કે શિક્ષણ અર્થે જતા નાગરિકો અને વિદ્યાર્થીઓ સવારે બસમાં નીકળીને પોતાના કામ પતાવી સાંજે પરત વતન પહોંચી શકશે. ડાયરેક્ટ એન્ડ-ટુ-એન્ડ સર્વિસ હોવાને કારણે મુસાફરોએ વારંવાર વાહન બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અમદાવાદના બાપુનગર અને કૃષ્ણનગર વિસ્તારના ટ્રાફિકમાંથી પસાર થવાને બદલે શોર્ટકટ રૂટ મળવાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.